શ્રીદિનકર જોશી

નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ – જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગર જીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા જેથી તેમને બે પુત્રો થયા.

તેઓએ મહાત્મા વિ. ગાંધી નાટક લખ્યા હતા જે રંગભૂમિ પર ભજવાણા છે. તેઓ ગીતા અભ્યાસી અને તેમાં પાંડિત્ય ધરાવતા હતા. આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવાને તેઓ એ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો. તેઓએ ૬૦થી વધુ પુસ્તકો લખ્યા હતા.

મુખ્ય રચનાઓ

  • નવલકથા – દૂર દૂર આરો, જાણે અજાણે, તન ઝંખે મન રોય, મત્સ્યવેધ, અદીઠાં રૂપ ( અંધના જીવન આધારિત), પ્રકાશનો પડછાયો, અગન પથારી, શ્યામ એક વાર આવો ને આંગણે, કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્, બરફની ચાદર, શેષ-અશેષ, આકાશનો એક ટૂકડો, (નર્મદના જીવન પર આધારિત), કંકુના સૂરજ આથમ્યા (મહાભારતના પાત્ર કર્ણના જીવન પર આધારિત), યક્ષપ્રશ્ન, ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, આપણે ક્યાંક મળ્યા છીએ, ૩૬ અપ ૩૬ ડાઉન વિ.
  • વાર્તાસંગ્રહો – તરફડાટ, અનરાધાર, એક વહેલી સવારનું સપનું, વનપ્રવેશ વિ.
  • સંપાદન – યાદ(૧૯૫૪-૧૯૬૪ ના ગાળાની વાર્તાઓ)
  • અનુવાદ – પંજાબી એકાંકી
  • અંગ્રેજી – Glimpses Of Indian Culture

સન્માન

  • ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો
  • ગુજરાત સાહિત્ય પરિષદ – ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક
Posted in Uncategorized | Leave a comment

રંગભૂમિ દિવસ- સંભારણા

૨૭ માર્ચ – વિશ્વ રંગભૂમિ દિન,..

 00041088.gifમિત્રો

રંગભૂમિના  દિવસો હવે ગયા . મારી અડધી જિંદગી રંગમંચ પર વ્યતીત થઈ છે. આજે હું ગુજરાતી રંગભૂમિનું ભુલાઈ ગયેલું પાત્ર છું. બસ હવે તો યાદ કરીએ છીએ એ દિવસોને. પ્રેક્ષકોનાં અટ્ટહાસ્ય અને તાળીઓના ગડગડાટ હજી પણ મારા કાનમાં પડઘાય છે. આંખો ભીંજાય છે. મનના રંગમંચ ઉપર હું મારી જાતને અભિનય કરતો જૉયા કરું છું.આવું આપણે ઘણા જ કલાકારોના મોઢે સાંભળીયે છીએ ..ગુજરાતી રંગમંચ અને અહીં ભજવાતા નાટકો ગુજરાતી સાહિત્ય વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે એ આપણે ભૂલવું ન જોઇએ  ..

રંગભૂમિ પર  અનેક કલાકારો અને નાટકોના રચિતાઓએ પોતાનું કૌવત દાખવી ચૂકયાં છે ગુર્જર રંગભૂમિના નાટકો અને તેના પાત્રો ઇતિહાસના પૃષ્ઠોમાં માત્ર સોનેરી યાદગીરી બનીને રહી ગયા છે.અને માટે જ આજે આપણે ઉજવશું રંગભૂમિ દિવસ સંભારણા નો દિવસ .. એવા કલાકરો અને એમની  આવી કળા જેણે આપની ભાષાને જીવાડવા  એક અથવા બીજી રીતે ફાળો કે યોગદાન આપ્યા છે  ૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિન  સંભારણા નો દિવસ આ નિમિત્તે આપણે ‘જૂની ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એ દર્શન કરીએ..રંગ મંચ પર  હર્ષ-શોકના, સ્નેહના, વેર-ઝેરના, તારું-મારું શાંતિ-અશાંતિના, માનવીના અનેક પાત્રો ભજવાયા  છે,  અને ભજવતા રહેશે,જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ જીવે છે . રંગમંચ  એ ભાષાઅને સાહિત્યને  જીવાડવાનો અને સમૃદ્ધ બનાવાનો એક પ્રયાસ જ  છે  . સમય વીતતાં  ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા.   છે પણ એનો અર્થ એ નથી ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ ને આપણે ભૂલી જઈએ . ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય  નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્વ અનોખું છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતની  અસ્મિતા  છે.

ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.

આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વડોદરાના નાટય ઇતિહાસને શબ્દાંજલી (સૌજન્ય સંદેશ )

કલા અને સંસ્કૃતિનું જતન કરનારી વડોદરા નગરીમાં જ્યારે મહારાજા સયાજીરાવનું શાસન હતું ત્યારે કલાના દરેક આયામોએ આ શહેરમાં તમામ શિખરો સર કર્યા હતા. જેમાં નાટયકળાનો પણ સમાવેશ થાય છે. આશરે સવા સો વર્ષ પહેલાંની આ વાત છે. મહારાજ દરબાર હોલમા સભા ભરીને બેઠા હતા અને મહારાજાને સંદેશો મળ્યો કે મુંબઇની એક નાટય મંડળીનો સંચાલક તેઓને મળવા માંગે છે. કલાપ્રિય મહારાજાએ ત્વરીત તે વ્યક્તિને બોલાવ્યો અને આવવાનું કારણ પુછયં. મુંબઇની પ્રસિદ્ધ ગાંધર્વ નાટય મંડળીનો એ સંચાલકે મહારાજા સમક્ષ મંડળીની દુર્દશાની વાત જણાવીને કહ્ય્યં કે જો આર્થિક મદદ નહીં મળે તો મંડળી બંધ કરી દેવી પડશે.

મહારાજા તો કલારસિક હતા એટલં જ નહી તેઓ કલાકારોનું હુન્નર પણ બખુબી પારખી શક્તા હતા. એટલે પળનો વિલંબ કર્યા વગર જ ગાંધર્વ નાટય મંડળીના પેટ્રોન બની ગયા. પણ એક શરત મૂકી કે ગાંધર્વ નાટય મંડળી જ્યારે પણ કોઇ નવં નાટકનું મંચન કરે તો તેનો પ્રથમ શો વડોદરામાં જ થવો જોઇએ. મંડળીએ શરત માન્ય રાખી અને વડોદરાના ઇતિહાસમાં ઉમેરાયું નાટય મંચનનું નવું પાનું.ળગાંધર્વ નાટય મંડળીએ વર્ષો સુધી પરંપરા જાળવી રાખી અને તે દરમિયાન તો વડોદરામા જાણે નાટય કલાનો સુવર્ણ યુગનો પ્રારંભ થયો હોય તેમ અનેક નાટય મંડળીઓ અસ્તિત્વમાં આવી. જેમાં નોંધપાત્ર કહી શકાય તેવી ‘બરોડા એમેચ્યોર’, ‘ગુજરાત કલા સમાજ’,’રસ મંડલ’,’બાલ મોહન સંગીત મંડળી’,’સુભાષ કલામંદિર’,’દેશી નાટક સમાજ’,’લક્ષ્મીકાંત નાટક સમાજ’,’ફાઇન આર્ટસ સોસાયટી’,’ગુજરાતી સાહિત્ય સભા’, ‘મરાઠી વાંગ્મય પરિષદ’, ‘સંસ્કૃત વિદ્વત સભા કલાકેન્દ્ર’, ‘રંગાવલી’, ‘ત્રિવેણી’, ‘નવચેતન’, ‘આકાર થિએટર’,’નવ ચેતન’ અને જયશ્રી કલા નિકેતન’ જેવી મંડળીઓનો સમાવેશ થાય છે. વડોદરામાં ઉપરોક્ત મંડળીઓ દ્વારા વર્ષ દરમિયાન અવિરત નાટકોના પ્રોડક્શન અને પ્રયોગો થતા રહેતા હતા. મરાઠી, ગુજરાતી અને પારસી સાહિત્યના નાટકો મુખ્યત્વે ભજવાતા હતા. અહી નાટકો બનતા હતા અને ભજવાતા હતા એટલે તેનો સીધો મતલબ એ થાય છે કે અહીં નાટય મંડળીઓને પ્રેક્ષકો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતા હતા. વળી વડોદરાના પ્રેક્ષકો સાહિત્ય રસિક અને સુશિક્ષીત હોવાથી અહીં નાટય પ્રયોગો પણ મોટા પ્રમાણમાં થતાં હતા.પણ, સિનેમા યુગનો આરંભ થતાં જ નાટક અને નાટય મંડળીઓને સૂર્ય આથમવા લાગ્યો હતો. આજે દશા એ છે કે વડોદરામા વર્ષ દરમિયાન આંગણીના વેઢે ગણી શકાય તેટલા નાટકો ભજવાય છે અને તે પણ મુંબઇના આધુનિક નાટકોનું પ્રમાણ વધુ હોય છે.

આજે દશા એ છે કે  વર્ષ દરમિયાન આંગણીના વેઢે ગણી શકાય તેટલા નાટકો ભજવાય છે અને તે પણ મુંબઇના આધુનિક,  નાટકોનું પ્રમાણ વધુ હોય છે..સિનેમા યુગનો આરંભ થતાં જ નાટક અને નાટય મંડળીઓને સૂર્ય આથમવા લાગ્યો છે .

જો આપનાં શહેરમાં નાટક આવેતો એકવાર જરૂર જોવા જજો અને જો સારું લાગે તો જરૂર તેઓને બિરદાવજો જેથી ૨૭ માર્ચ નાં દિવસ ની ઉજવણી ની રાહ નહી જોવી પડે અને રોજે રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી થશે.

રંગભૂમિ જીવંત કળા આખરે જીવંત છે અને તે જીવશે જ. – ભરત યાજ્ઞિક


Posted in Uncategorized | Tagged , , , | 2 ટિપ્પણીઓ

નાટ્ય મહોત્સવ-આપણી ભાષા આપણુ ગૌરવ

નાટ્ય મહોત્સવ-આપણી ભાષા આપણુ ગૌરવ

 મિત્રો

ગુજરાત ફાઉન્ડેશન,શકુંતલા આર્ટસ ,અને ગુજરાત દર્પણ  ચાલુ વર્ષે નાટ્ય મહોત્સવ ઉજવે છે.

.

 

એ સમાચાર સાથે  ઉજવણીમા  આવવા નિમંત્રણ મળ્યા .રંગભૂમિ ના માધ્યમ દ્વારા ગુજરાતી નાટક નો મેળાવડો યોજી આપ સહુ જે આપણી ભાષા,આપણી અસ્મિતા અને આપણા ગૌરવને  એક ગરિમાપૂર્ણ વયવહારથી સિંચી રહ્યાં છો એ ઉમદા કાર્યમા ડગલો આપને સંપૂર્ણ સાકાર  સાથે પ્રોત્સાહન આપે છે.આપ ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એક અલગ અંદાજથી દર્શન લોકોને કરાવશો. માટે જ ડગલો એક ગુજરાતી હોવાના ગૌરવ સાથે આપના ઉમદા કાર્યને બિરદાવે છે. પરદેશમાં તમારી  ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તેનાથી વધારે બીજો આનંદ કયો હોય શકે …આજ રીતે માતૃભાષાને જાળવો અને માન વધારો.અમારા  ડગલા ગ્રુપના સર્વે સભ્યો વતી ફરી એક વાર આનંદ  વ્યક્ત કરું છું.

…. આ સાથે ખાસ ડગલાના મિત્રોને જણાવાનું કે જે કોઈને આ મેળાવડામાં જાવું હોયતો અથવા વધુ વિગત જોતી હોય તો  બે એરિયામાં આપણાં ડગલાના પ્રતિનિધિ રાજુભાઈ નો સંપર્ક કરવો..408-761-6079

Posted in Uncategorized | Leave a comment

જૂની ગુજરાતી રંગભૂમિ

રંગભૂમિ  દિન માર્ચ મહિનામાં આવે છે ..આ નિમિત્તે આપણે ‘જૂની ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એક અલગ અંદાજથી દર્શન કરીએ.

natakરણછોડભાઈ ઉદયરામ દવેને જૂની રંગભૂમિનાં નાટકોના પ્રથમ લેખક માનવામાં આવે છે. પારસીઓ પાસેથી એમણે હવાલો લઈ શુદ્ધ ગુજરાતી રંગભૂમિ શરૂ કરી. એમણે અન્ય શિક્ષક સાથીદારો સાથે મળી સ્થાપેલી નાટક મંડળી તે ‘ગુજરાતી નાટક મંડળી (ઈ.સ 1878)’. અગાઉ સને 1874-75માં ગુજરાતી ભાષામાં નાટકો ભજવવાના ઉદ્દેશથી કેખશરૂ કાબરજી અને રણછોડભાઈ ઉદયરામ દવે વગેરેએ સ્થાપેલી ‘નાટક ઉત્તેજક મંડળી’ એ રણછોડભાઈ દવેએ સને 1871માં લખેલું ‘હરિશ્ચંદ્ર’ નાટક 1876માં ભજવ્યું હતું. ગાંધીજીની ‘આત્મકથા’માં એમણે જે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયાનો ઉલ્લેખ છે તે આ જ નાટક હતું.

ણછોડભાઈ દવેએ સને 1865થી 1875સુધીમાં લખેલા પાંચ નાટકો ભજવ્યાં હતાં. એમાં એમને કીર્તિ મળી એ તો એક ‘હરિશ્ચંદ્ર’ નાટક દ્વારા અને બીજા ‘લલિતા દુ:ખદર્શક’ નાટક દ્વારા. સને 1857માં કોલકતા, મુંબઈ ને ચેન્નાઈ યુનિવર્સિટીઓ સ્થપાઈ ત્યારે છાપખાનાં અસ્તિત્વમાં આવ્યાં હતાં અને આપણી માતૃભાષા થોડાક પાદરીઓ અને બીજાનાં લખાણથી ખેડાઈ હતી. ગુજરાતી રંગભૂમિના ઉદય માટે આ શુભ શુકન હતા. મુંબઈની રંગભૂમિ સાથે પારસી ગુજરાતીઓ જોડાયા; બીજી તરફ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડના બ્રાહ્મણો આગળ આવ્યા. તેમણે સને 1878માં શ્રી આર્ય સુબોધ નાટક મંડળી સ્થાપી અને વાઘજી આશારામ અને મૂળજી આશારામ ઓઝા કંપની માલિક બન્યા. વાઘજીભાઈ ઓઝાએ નાટક લખ્યું ‘ભરથરીનો ખેલ’. સને 1880માં ‘ભર્તૃહરિ’ નામથી એ ભજવાયું. સને 1881થી 1883નાં વર્ષોમાં આ ‘આર્ય સુબોધ નાટક મંડળી’ એ ભૂજ, રાજકોટ, અમદાવાદ, વીસનગર, સુરત વગેરેમાં પ્રવાસ કરી નાટકો ભજવ્યાં.

આ મંડળીએ કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તર પાસે ‘મહાસતી અનસૂયા’ (સને 1908) લેખાવી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પાસે ‘બુદ્ધદેવ’ (સને 1919) લખાવી ભજવ્યાં. આ મંડળીના ‘ચંદ્રહાસ’ નાટકનો એક ગરબો ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો :

વટસાવિત્રી વ્રત આજ પૂરણ કરીએ રે;
થશે પૂજન વડનું આજ સહિયર સંગે રે !

આ જ ગાળાની નોંધપાત્ર મંડળી તે ‘વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી’, ‘દ્વારકા નૌતમ નાટક મંડળી’, ‘હળવદ સત્યું સુબોધ નાટક મંડળી’ વગેરે. ‘વાંકાનેર નાટક મંડળી’ નું ‘નરસિંહ મહેતા’ નાટક ભારે ખ્યાતિ પામ્યું હતું. નાના ત્રયંબકે એમાં નરસિંહનું પાત્ર ભજવી કેદાર રાગ ગાતી વેળા ભારે અસર ઉપજાવી હતી. ઈ.સ. 1878 થી 1889 સુધીમાં સાત નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. ‘આર્ય નૈતિક નાટક સમાજ’(1915 થી 1950), ‘નાટક ઉત્તેજક મંડળી’ (1912 થી 1946), ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ (1917 થી 1946), ‘શ્રી રોયલ નાટક સમાજ’ (1914 થી 1929), ‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ (1889 થી 1927), ‘શ્રી દેશી નાટક સમાજ’ (1889 થી 1980) અને ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ (1889 થી 1949).

‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ ની સ્થાપના મોટા ત્ર્યંબક (ત્ર્યંબકલાલ દેવશંકર રાવલ) અને નાના ત્ર્યંબક (ત્ર્યંબકલાલ રામચંદ્ર ત્રવાડી) દ્વારા થવા પામી હતી. આ કંપનીને લેખક તરીકે કવિ નથુરામ સુંદરજી મળ્યા હતા. કવિ નથુરામ સુંદરજી શુક્લનું નાટક દિવાળી નિમિત્તે ‘નરસિંહ મહેતા’ (સને 1905) આ કંપનીનું અવ્વલ દરજ્જાનું નાટક બની રહ્યું. પછી ઐતિહાસિક નાટક ‘શૂરવીર શિવાજી’ રજૂ કર્યું હતું. એ પણ એટલી જ પ્રસિદ્ધિને વર્યું હતું. ‘શ્રી દેશી નાટક સમાજ’ એવી કંપની રહી કે જે ખૂબ લાંબુ જીવી ગઈ. ડાહ્યાભાઈ ધોળશાજીએ (1867 થી 1902) આ કંપનીનું મંગળાચરણ કરેલું. ડાહ્યાભાઈની રચના આજેય પ્રસિદ્ધ છે.

નાટક દુનિયાનું દર્પણ રૂડું ગુણદોષ જોવાનું;
ખાંતેથી જોઈ જોઈ બોધ લઈ દિલડાનું દુખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું રસભરેલ રૂડું ભાણું.
ભલે મૂરખડા ભસી મરે કે ધિંગ-ધિંગાણું નાટક.
ઘડીક હસાવે, ઘડીક રડાવે બધ્ધે બોધ બતાવે.
લે જેને મન જે ભાવે જ્યમ માર્યું ત્રાંબું ખાવે.

(‘સતી પાર્વતી’ : 1906)

આ ‘દેશી નાટક કંપની’ નું અધ્યાપક કેશવલાલ શિવરામે રચેલું ‘સંગીત લીલાવતી નાટક’ (સને 1889) નાટક ભજવાતું જોઈ એમની પાસેથી ડાહ્યાભાઈ ધોળશાજીએ આ કંપની લીધી હતી. ગુજરાતી રંગભૂમિને પાકું થિયેટર ડાહ્યાભાઈ ઝવેરીએ આ કંપની દ્વારા સંપડાવ્યું. ડાહ્યાભાઈ કંપની માલિક તો ઠીક શિક્ષક મટી લેખક પણ થયા હતા. બધાં મળીને 24 નાટકો તેમણે લખ્યાં ને ભજવ્યાં છે. એમના ‘અશ્રુમતી’ નાટકનું ગીત ‘શું નટવર વસંત થૈ થૈ નાચી રહ્યો’ એટલું તો લોકપ્રિય નીવડેલું કે ગરબારૂપે ગુજરતનાં ઘણાં સ્થળોએ ગવાતું. ડાહ્યાભાઈએ આ કંપની દ્વારા જ ભજવેલું પોતાનું ‘વીણાવેલી’ (સને 1889) પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. એમાંનો ‘ઉગ્યો સખી સૃષ્ટિનો શણગાર ચાલ ચાલ જોવાને ચંદ્રમા’ ગરબો તો હજુય એની લોકપ્રિયતા ટકાવી રહ્યો છે.

‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ (1889 થી 1949) ખંભાતના છોટાલાલ મૂળચંદ પટેલ અને દયાશંકર વસનજી ગિરનારાએ શરૂ કરેલી. નરોત્તમ મહેતાજીની ‘શ્રી ગુજરાતી નાટક મંડળી’ ખરીદી લઈને તેની આગળ ‘મુંબઈ’ ઉમેરીને આ નામે ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ સ્થાપવામાં આવેલી. આ નાટક મંડળીના શુભેચ્છક હતા નડિયાદના ગોવર્ધનરામ ત્રિપાઠી અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈનું ‘કાન્તા’ નાટક આ મંડળીએ ‘કુલીન કાન્તા’ નામથી 1889માં ભજવ્યું હતું. તે પછી સને 1899માં મૂળશંકર મુલાણીનું ‘અજબ કુમારી’ ભજવ્યું. ગોવર્ધનરામને આ પ્રયોગ ગમ્યો અને આ લેખકને બીજાં નાટક લખવા કહ્યું. મુળશંકર મૂલાણી (1868 થી 1957) એ પછી ‘સૌભાગ્ય સુંદરી’ (1901), ‘કૃષ્ણ ચરિત્ર’ (1912), ‘દેવકન્યા’ (1904), ‘જુગલ જુગારી’ (1902) વગેરે નાટક લખ્યાં. એમાંના ‘સૌભાગ્ય સુંદરી’ નાટકને ગજબનાક લોકપ્રિયતા મળી અને જયશંકર ભોજકને આ નાટકના મુખ્ય સ્ત્રી પાત્ર ‘સુંદરી’ની ભજવણી બદલ ‘સુંદરી’નું બિરુદ મળ્યું. બાપુલાલ બી. નાયક આ કંપનીમાં જ હતા અને આ જ નાટકના મુખ્ય પુરુષપાત્ર ‘સૌભાગ્ય સિંહ’ના અભિનયથી પ્રેક્ષકોમાં ઝળક્યા હતા. બાપુલાલ બી. નાયક એક એવા અભિનેતા અને દિગ્દર્શક હતા જે સારીયે જિંદગી આ કંપનીને વળગી રહ્યા હતા. અને કેટલાય વખત પછી આ કંપનીના માલિક પણ બન્યા હતા. એમણે રમણભાઈ નીલકંઠનું ‘રાઈ નો પર્વત’ ભજવ્યું હતું.

સને 1912માં રંગભૂમિના પ્રસિદ્ધ નાટ્યાકાર છોટાલાલ રૂખદેવ શર્માએ ગોવર્ધનરામની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ને નાટ્યદેહ આપ્યો હતો. ‘મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળી’ એ 1912માં આ ‘સરસ્વતીચંદ્ર’ સુરતમાં ભજવ્યું હતું. રંગભૂમિ પર ન આવ્યા હોય તેવા વિષયો લઈ એક એવો લેખક આ વેળા આવ્યો જે હતા નૃસિંહ વિભાકર (સને 1885 થી 1925) અને એમની પહેલી જ રચના હતી ‘સિદ્ધાર્થ બુદ્ધ’ જે મુંબઈની ‘આર્ય નૈતિક નાટક મંડળી’ દ્વારા 1914માં રજૂ થયું પણ લેખકના પ્રગતીશીલ વિચારો ન ઝિલાયા અને પ્રયોગ એ કેવળ પ્રયોગ જ થઈ રહ્યો. એ પછી તેમણે ‘મધુબંસરી’ (1917), ‘મેઘમાલિની’ (1918), ‘સ્નેહ સરિતા’ (1915) નાટકો લખ્યાં અને ‘રંગભૂમિ’ (1927) માસિક પણ શરૂ કર્યું પણ રંગભૂમિની કાયાપલટના કોડ ચરિતાર્થ ન થયા તે ન જ થયા. ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે’ સને 1924માં પ્રભુલાલ દ્વિવેદીનું ‘માલવપતિ’ ભજવ્યું. એમાં વીસનગરના ત્રિકમ નામના નટને એનું એક પાત્ર ‘સુરભી’ ભજવતાં સારી પ્રસિદ્ધિ મળી અને ‘સુરભિ’ એમનું બિરુદ બની ગયું. એ પછી ‘પૃથ્વીરાજ’માં ‘સંયુક્તા’ ‘સિરાજુદૌલા’ માં ‘લુત્ફુન્નિસા’ ના પાત્ર ભજવ્યાં. ત્યારબાદ પ્રભુલાલ દ્વિવેદીના ‘સંસાર સાગર’ માં નીચેનું ગીત અને એમનો અભિનય વખણાયાં.

જવાની રાતે રિસાઈ બેઠા
મળવા ગઈ તો કહે કે ઊંહું.
પૂછ્યું મેં : ‘છે કંઈ ગુનો અમારો ?’
કહો ને કંઈ ? તો કહે કે ઊંહું !

પ્રભુલાલ દ્વિવેદી (1882-1962)નું સને 1924માં ‘લક્ષ્મીકાન્ત’ ને પડદે રજૂ થયેલું આ ‘માલવપતિ મુંજ’ નાટક એક બીજા નટને પણ ચમકાવી ગયું. આ નટ તે અશરફખાન. ‘માલવપતિ મુંજ’ નો એમનો અભિનય અને એમના દર્દીલા ઘૂંટાયેલા ગળેથી નીપજેલાં નીચેનાં ગીતો આજેય અવિસ્મરણીય રહ્યાં છે :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી;
એથી જ શાણા સાહ્યબી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી;
એ જ શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી.

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
તરી જાવું બહુ સહેલું છે મુશકીલ ડૂબવું જેમાં
એ નિર્મળ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછા છે.

અશરફખાનની સાથોસાથ એક એવી જ અવ્વલ ગાયકીવાળા નટ સંગીતસમ્રાટ ભગવાનદાસ આવ્યા. ભગવાનદાસ ‘દેશી નાટક સમાજ’માં પ્રભુલાલ દ્વિવેદી લિખિત ‘સત્તાનો મદ’ નાટકમાં ‘પતંજલિ’ની ભૂમિકાથી લોકપ્રિય બન્યા હતા. અશરફખાન પણ આ વેળા ‘દેશી નાટક’માં હતા અને ભગવાનદાસની સામે બૃહદથતા પાત્રમાં હતા. સામસામે વીંગમાંથી એક તરફથી ભગવાનદાસ અને બીજી તરફથી અશરફી ગાતા ગાતા આવતા :

તું ચેત મુસાફર વહી જશે, સમય ઘડી કે બે ઘડી;
એ મસ્તી મનમાં રહી જશે, છે સમય ઘડી કે બે ઘડી
છે આંખ છતાં કાં અંધ બને લઈ દીવો હાથ કાં કૂવે પડે ?
અભિમાન અશ્વ પર ચડી ચડી, છે સમય ઘડી બે ઘડી.

આ ગાળામાં ‘શ્રી રોયલ નાટક મંડળી’ (1919-1929) ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’, ‘કોનો વાંક’, ‘ભાગ્યોદય’ જેવાં નૂતન નાટક કવિ જામન પાસેથી મળ્યાં. કવિ જામનની ગણના બંડખોર કલમવાળા લેખક તરીકે થઈ. રંગભૂમિ ઉપર એમણે દ્વિઅંકી નાટકો આપવાનો નવો ચીલો પાડ્યો – અલબત્ત એ દીર્ધકાળ ન ટક્યો. અમદાવાદમાં ‘આર્ય નૈતિક’ અને મુંબઈમાં ‘દેશી નાટક સમાજ’ ઠીક ઠીક સારા નરસા દહાડા જોતાં આગળ વધતાં રહ્યાં. સુરત અને વડોદરા પણ તૂટક છૂટક નાટક જોતાં રહ્યાં. ‘લક્ષ્મીકાન્ત’ અને ‘મુંબઈ ગુજરાતી’ અવાર નવાર વડોદરા- સૂરતને લાભ આપતાં રહ્યાં.

આ ગાળામાં પ્રાણસુખ એડીપોલો (1887-1955) એક પ્રસિદ્ધ નટ તરીકે બહાર આવ્યા. એમની સરખામણી મૂક ચલચિત્રોના મશહૂર અભિનેતા એડીપોલો સાથે અને આ ‘એડીપોલો’ નામાભિધાન પણ એ અભિનેતાના નામ પરથી થયું હતું. ‘ઉમા-દેવડી’ માં ‘ગાંડિયા’ ની ભૂમિકા ભજવી ‘સનેડો સનેડો શું કરે ને નદીએ નાવા જાય, નાતાં ને ધોતાં ન આવડે રે એ તો ગારામાં ગોથાં ખાય’ ગાઈને લોકપ્રિય બન્યા હતા. ખલનાયકની ભૂમિકાઓ એ ઉત્તમ ભજવતા. ‘સરસ્વતીચંદ્ર’ ની એમની શઠરાયની ભૂમિકા વખણાઈ હતી. અન્ય ખલનાયકોની અદ્દલ ભજવણી કરનારાઓમાં હતા માસ્ટર શનિ (1885-1961) સિંહનાદી કલાકાર. તેઓ ‘દેશી નાટક’માં હતા અને કંપની વડોદરા નાટક ભજવવા આવી હતી ત્યારે ત્યાં એક સરકસ આવેલું. એના ઉપરી ગોરાએ Hello Sonny કહી બિરદાવ્યા ત્યારથી તે ‘મગનલાલ’ મટી ‘શનિ’ બની ગયા હતા. શનિ માસ્ટર પછી ‘આર્ય નૈતિક નાટક સમાજ’ માં હતા અને ત્યારે એમાં ઊંઢાઈના મા. પ્રહલાદ (1902-1934) પણ એક મશહૂર અભિનેતા તરીકે બહાર આવ્યા હતા. નાની વયમાં ગુજરી જનાર આ કલાકારે ‘સમ્રાટ હર્ષ’માં ‘કલ્યાણી’ ની ભૂમિકા એવી તો અજોડ અભિનયથી ભજવી હતી કે તેમનું નામ જ ‘પ્રહલાદ કલ્યાણી’ પડી ગયું હતું. જૂની રંગભૂમિની એક વિશેષતા એટલે બેતબાજી. હર્ષના પાત્રમાં મા. શનિ બેતબાજીમાં કહેતા :

દેખાવ બદલ્યે દુર્જનોના દાવ બદલાતા નથી,
સમય બદલે છતાં સ્વભાવ બદલાતા નથી.

જ્યારે શંશાંકદેવના પાત્રમાં મોહનલાલ જવાબ આપતા :

વાજિંત્રના ઉસ્તાદના કંઈ તાલ બદલાતા નથી.
સિંહ કેરી મૂછના કંઈ બાલ બદલાતા નથી.
સર્પ છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી.
અમે બદલાશું અમારા હાલ બદલાતા નથી.

અને ‘કલ્યાણી’ના પાત્રમાં મા. પ્રહલાદ પતિને ફિટકારતાં કહેતા :

પત્ની તણો છે ન્યાય, સામે પતિનો અન્યાય છે,
સ્ત્રીને મળે સન્માન ત્યાં નિંદા પતિની થાય છે.
તમારી અપકીર્તિમાં ઈજ્જત અમારી જાય છે.
તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે.

મૂળચંદમામા, પ્રમાશંકર ‘રમણી’, વિઠ્ઠલદાસ ડાયરેક્ટર, હિંમતભાઈ મીર, મા. વસંત, મા. ગોરધન, ચંપકલાલા, મૂળજી ખુશાલ, કાસમભાઈ મીર વગેરે નામો જૂની રંગભૂમિની યશકલગીનાં છે. પ્રહસન વિભાગનાં આણંદજી ‘કાઠિયાવાડી કબૂતર’, માં. પ્રાણસુખ ‘તેતર’ (નવી રંગભૂમિમાં ‘મિથ્થાભિમાન’ નાટકના જીવરામ ભટ્ટ), છગન રોમિયો, મા. શિવલાલ કોમિક ‘નયનાજી’, અલીદાદન, કેશવલાલ ‘કપાતર’ પણ એવાં જ યાદગાર ભૂમિકા ભજવી જનારાંનાં નામો છે. આણંદજી ‘કાઠિયાવાડી કબૂતર’ નું ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ ગીત તથા ‘કેમ કરી પાણીડાં ભરાય રે ભમરિયાં કૂવાને કાંઠડે’ ને એવાં કંઈ ગીત યાદગાર સંભારણાં બની રહ્યાં અને અભિનેત્રીઓને પણ કેમ ભુલાય ? મોતીબાઈ, મુન્નીબાઈ, હીરાબાઈ, સરસ્વતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, દુલારી, શાલિની, રૂપકમલ, રામપ્યારી, અરુણા ઈરાની, રાણી પ્રેમલતા એવાં નામો છે જે જલદી નહિ વીસરાય. મોતીબાઈના કંઠથી ગવાતું ગીત :

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે, અલબેલા કાજે ઉગાશે;
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે…… અલબેલા કાજે..
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હીંડોળાખાટ રે… અલબેલા કાજે..
ઘેરાતી આંખડી ને દીધા સોગન મેં
મટકું માર્યું તો તારી વાત રે….. અલબેલા કાજે..
આજના તો જાગરણે આતમા જગાડ્યો,
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે…… અલબેલા કાજે..

કેવા કેવા હતા આ નાટકો અને ગીતોના લેખકો ? ડાહ્યાભાઈ ધોળશાજી, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, મણિલાલ ‘પાગલ’, જીવણલાલ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ દેસાઈ, મનસ્વી પ્રાંતિજવાળા, કવિ ત્રાપજકર, જી.એ. વૈરાટી, મુળશંકર મુલાણી, કવિચિત્રકાર ફૂલચંદભાઈ શાહ, બેરિસ્ટર નૃસિંહ વિભાકર, કવિ જામન એમને સહેજે નહિ ભૂલી શકાય. ‘શ્રી દેશી નાટક સમાજ’ નાં ‘વડીલોના વાંકે’, ‘સંપત્તિ માટે’, ‘સંતાનોના વાંકે’, વગેરે નાટકો ખૂબ યશસ્વી નીવડ્યાં તે આવા લેખકોને કારણે. પ્રભુલાલ દ્વિવેદી છેલ્લે છેલ્લે ખૂબ પ્રશંસાયા. પરમાનંદ ત્રાપજકર (જન્મ 1902) પણ પી.જી. ગાંધીની કંપની ‘લક્ષ્મીકાન્ત’ માટે ‘વીરપસલી’ લખીને એવા તો જૂની રંગભૂમિનું સંભારણું બની રહ્યા કે અમદાવાદથી વડોદરા ‘વીરપસલી’ જોવા સ્પેશિયલ ટ્રેન દોડાવાતી. ‘આર્ય નૈતિક’ નું ‘પૈસો બોલે છે’ અને ‘લક્ષ્મીકાન્ત’નું ‘વીરપસલી’ છેલ્લાં બેનમૂન નાટકો બની રહ્યાં.

‘ભાંગવાડી ભાંગ્યું’ (1979-80)થી એક ઊંડો નિ:શ્વાસ પણ મૂકવો પડે એવી રંગભૂમિની દશા થઈ. ‘શ્રી દેશી નાટક સમાજ’ ની કારકિર્દી રોળાતી ગઈ અને એણે મરણતોલ પ્રયત્નો કર્યા પણ યારી ન મળી. ‘માસ્ટર ફૂલમણિ’ નાટક ભાંગવાડીને ભાંગ્યે 30 વર્ષ પછી મુંબઈના ‘પૃથ્વી થિયેટર’ પર ભજવાયું. આ જૂની ગુજરાતી રંગભૂમિના અસ્તાચળ ગમનથી ગુજરાતને શું મળ્યું એ લેખાંજોખાંની વેળા આવી.

ડૉ. દિનકર ભોજક એમના એક પુસ્તકમાં ઊંડા નિ:શ્વાસ સાથે નોંધે છે : ‘ગુજરાતી રંગભૂમિએ પોતાની ઓળખ ઊભી કરી આપી. એક ચહેરો, એક બિબું, એક ઢાળ, એક શૈલી, એક પ્રણાલીનું સર્જન કરી આપ્યું જેમાં ગુજરાતની અસ્મિતા ઘણે અંશે ઝિલાઈ છે.’ ‘જૂની ગુજરાતી રંગભૂમિએ શું આપ્યું ?’ તો કહી શકાય કે, જેમાં ધબકતું ગુજરાત અને ગુજરાતીપણું હોય, આઝાદીની ચળવળ હોય, રાષ્ટ્રપ્રેમ હોય, ઉત્તમ ચરિત્ર હોય એવું ઘણું બધું રંગભૂમિએ આપ્યું છે, પોષ્યું છે. સમગ્ર ગુજરાતને નાટ્ય માનસ આપ્યું, વિશાળ પ્રેક્ષકવર્ગ આપ્યો. જનમનરંજનનું દાપું ચૂકવ્યું. સંસ્કાર અને સંસ્કૃતિક્ષેત્રે એક કીર્તિસ્થંભ રોપ્યો.

રતિલાલ સાં. નાયક

Posted in Uncategorized | 1 ટીકા

રંગભૂમિ પર સ્ત્રીપાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી

સ્ત્રી પાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી’


Play

 

 

 

 

 

 

રંગભૂમિ પર સ્ત્રીપાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી’ સ્ટેજ પર સ્ત્રી વેશે સજીને આવતા ત્યારે સ્ત્રીઓ પણ તેમના સૌંદર્ય અને મીઠા અવાજ સામે ઝાંખી પડતી. રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા જયશંકર ‘સુંદરી ’ના નામે બંધાયેલો હોલ આજે જર્જરિત અવસ્થામાં છે.

જેણે ગરવી ગુજરાતણનાં અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા..સજીવ અભિનયથી લોકહૈયા ડોલાવનાર, નાટ્યકલાના આજીવન સાધક જયશંકર ભોજક…….રંગભૂમિના મહાન કલાકાર એવા જયશંકરભાઈનો જન્મ વિસનગરમાં ભોજક જ્ઞાતિમાં થયો હતો. તેમના કુટુંબમાં સંગીતના સંસ્કારો હતા. તેમના પિતામહ ત્રિભોવનદાસ મહાન ગાયક હતા. જયશંકર પ્રાથમિક શાળામાં દાખલ તો થયા પરંતુ તેમનું મન તો ભજવેલાં નાટકોમાં જ અટવાઇ ગયું.

તેમની રગેરગમાં અભિનય દોડી રહ્યો હતો. એકાંતમાં પણ તેઓ નાટકોનાં પાત્રોનું અનુકરણ કરતા. ભણવામાં મન લાગ્યું નહીં. આથી પરાણે માતા-પિતાની આજ્ઞા લઈને તે સમયની કોલકાતાની ‘‘પાસી ઉદૂર્’’ નાટક મંડળીમાં જોડાયા અને રંગમંચના બેતાજ બાદશાહ બની ગયા.

જયશંકર નાટયકલાના પરમસાધક હતા. અભિનયકલા તેમનામાં નૈસર્ગિક રીતે વણાયેલી હતી. ગુજરાતી પ્રજાને તેમના અભિનય પ્રત્યે ભારોભાર આદરભાવ હતો. સામાન્ય ‘નટ’ પાનબીડી, ઠઠ્ઠામશ્કરી, નકામી વાતો કરનાર, પ્રમાદી અને ધનનો લાલચું કલ્પવામાં આવે છે, પરંતુ જયશંકરમાં આમાંથી એક પણ અવગુણ ન હતા.

તેઓ પાત્રને સમજીને મનમાં બેસાડી આત્મસાત કરતાં પછી જ સ્ટેજ ઉપર આવતાં. પાત્રને પૂણર્ ગૌરવ અપાવતા. જયશંકરે અનેક નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવ્યાં, તેમાં ‘નૂરજહાં’ નાટકમાં નૂરજહાં, ‘કòષ્ણચરિત્રમાં’ રાધા, ‘જુગલ જુગારી’માં લલિતા, ‘મધુરબંસરી’માં બંસરી, ‘સ્વામીભકિત’માં પૂતળીબાઇ, ‘કામલતા’માં કામલતા. સુંદરીની ભૂમિકાથી તેમના નામ પાછળ ‘સુંદરી’ જોડાવા લાગ્યું.

પચાસ ઉપરાંત નાટકોમાં તેમણે સ્ત્રીપાત્ર ભજવ્યું. તેઓ જયારે સ્ત્રીનો શણગાર સજીને સ્ટેજ પર આવતા ત્યારે સ્ત્રીઓ પણ ઝાંખી પડતી. સ્ટેજ પર એક સ્ત્રીને કેવી રીતે પ્રગટ કરવી તે કલા તેમનામાં અદમ્ય હતી. સાહિત્યસભાએ તેમની કલાની કદર કરતાં ૧૯૫૪માં એમનું બહુમાન કર્યું હતું અને ‘રણજિતરામ સુવણર્ચંદ્રક’ અર્પણ કર્યોહતો. રંગમંચના આ મહાન કલાકારે ૨૨-૧-૧૯૭૫ના રોજ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો.

Thanks to Divyabhaska

પરિચય:

જયશંકર ભૂધરદાસ ભોજક, ‘સુંદરી’ (૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫): આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કોલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ કરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૪૮થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં પદ્મભૂષણનો ઈલ્કાબ. વિસનગરમાં અવસાન.

 

તેમની આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’માં છેલ્લા સો વર્ષના ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે

Posted in Uncategorized | 1 ટીકા

પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું

એક સરખા સુખ ના દિવસો કોઈના જાતાં નથી

નાટક એટલે કવિ પ્રભુલાલ અને કવિ પ્રભુલાલ એટલે નાટક.

હૃદયના શુઘ્ધ પ્રેમીને નિગમનાં

જ્ઞાન ઓછાં છે....

હૃદય સ્પર્શીગીતો લખીને રંગદેવતાને રીઝવનાર કવિ અને નાટયકાર પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું વતન જલારામ બાપાનું વીરપુર. પિતા દયારામ તત્વજ્ઞાનના જ્ઞાતા. કાવ્ય સાહિત્ય અનુરુચિ ગ્રંથના કર્તા ઉપરાંત સાહિત્યના ઊંડા અભ્યાસી. પિતાનો સાહિત્ય વારસો શૈશવથી સાંપડયો. કલ્પનાનાં બીજ રોપાયાં. તે સમયમાં વીરપુરમાં શાળાની સુવિધા નહોતી તેથી પગપાળા જેતપુરની નિશાળમાં જવા આવવાનું થતું.

કરાંચી જવાનું થયું. ત્યાં મેકેનીકલ ઇજનેરનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂરો કર્યો. એક ઇજનેર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. તેમની પ્રકૃતિને તે કામ સાથે મેળ ન બેસે. તકદીરે જેના કપાળમાં કલમ દ્વારા કીર્તિવંત બનાવવાની ટાંક મારી હતી તેનાથી હથોડો પકડી શકાયો નહીં. આ સમયે તેઓની ઉંમર ઓગણીસ વર્ષની હતી અને કલ્પનાની કુંપળ ફૂટુ ફૂટુ થઇ રહી હતી. ભાગ્ય દેવી તેને રંગભૂમિને દ્વારે દોરી ગઈ.

કરાંચીમાં મોતીરામ બેચર નંદવાણાની આ નીતિ દર્શક નાટક મંડળી કાર્યરત હતી. તેમાં તેઓ જોડાયા.

એકવીસ વર્ષની વયે તેમના પગરણનું પ્રથમ પાનું ઉઘડયું તે બે વર્ષ સુધી રંગભૂમિનાં તમામ પાસાંનો તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કર્યો. રંગભૂમિમાં પોતે શું પ્રદાન કરી શકે તેનું જ્ઞાન મેળવી લીઘું. તે દરમિયાન કંપનીના માલિક મોતીરામભાઈનું નિધન થયું.

ત્યાં રહીને પ્રભુલાલભાઈએ મહાભારતના કથાવસ્તુ પર આધારિત ‘વત્સલા’ નાટકકૃતિનું સર્જન કરી તખ્તાને અર્પણ કરી. તેમણે પૌરાણિક નાટક દ્વારા રંગમંચ પર પ્રવેશ કર્યો હતો.

થોડા વખત પછી આંતરિક વિખવાદને કારણે કંપની બંધ પડી. ઇ.સ. ૧૯૧૭ ના વર્ષમાં વખણાયેલા દિગ્દર્શક અને અભિનેતા પ્રાણસુખ એડીપોલોએ ‘આર્યનાટ્ય સમાજ’ નામે નાટ્ય સંસ્થાની રચના કરી તે દ્વારા પ્રભુલાલભાઇની નાટ્યકૃતિ ‘વત્સલા’માં ફેરફારો કરી ‘માયાવી વીર’ નામે તખ્તા પર રજૂ થઇ. ઉપરના વર્ષમાં વાડીલાલ શાહે સરસ્વતી નાટક સમાજની સ્થાપના કરી. તેમણે પણ પૌરાણિક કથાવસ્તુ પ્રેરિત પ્રભુલાલભાઇ લેખિત નાટક ‘દાનવ મોહિની’ રંગમંચ પર રજુ કર્યું.

ઉક્ત સંસ્થા પણ કેટલાંક કારણોને લીધે અલ્પજીવી નિવડી. આ સમયમાં લક્ષ્મીકાંત નાટક સમાજનો જન્મ થયો તે સાથે જ કંપનીના માલિકે પ્રભુલાલ દ્વિવેદીને નાટ્યકાર તરીકે કંપનીમાં જોડાવાનું નોતરૂં આપ્યું.

અહિં તેમણે પૌરાણિક કથાનકને પડતું મૂકી ઐતિહાસિક કથાવસ્તુને પકડી કલમ ચલાવી. તેમાંથી ‘વીરકુણાલ’નું સુપેરે સર્જન થયું જે પ્રેક્ષકોએ પ્રેમથી વધાવ્યું ને તે સાથે દ્વિવેદીની કીર્તિનું પ્રથમ કિરણ ફૂટયું.

પ્રેક્ષકોની પસંદગી પારખીને તેમણે જગદ્ગુરૂ શંકરાચાર્યના જીવન અને કથનની ઝાંખી કરાવતું નાટક ‘શંકરાચાર્ય’ લખ્યું. પરિણામે એક સફળ નાટક સાંપડયું. કવિની કલમે અનોખો ચમત્કાર સજર્યો ! નાટ્ય શોખીનોએ નાટ્ય પ્રયોગને પ્રશંસાનાં પુષ્પોથી વધાવ્યો. એક વર્ષની સફળતા પ્રાપ્ત કરી લક્ષ્મીકાન્તના સંચાલકો કંપનીને મુંબઇ લઇ ગયા. ત્યાં ‘વીર કુણાલ’ અને ‘શંકરાચાર્ય’ ભજવ્યા. મુંબઇની જનતાએ બંને નાટકોને અતિ ઉત્સાહભેર આવકાર્યા.

મૂળચંદ મામાએ તેમની કંપની માટે એક નાટક માંગ્યું ને કવિએ ‘અહલ્યા બાઈ’ લખી આપ્યું. લક્ષ્મીકાંત માટે નવું નાટક ‘કુમારપાળ’ લખ્યું, ભજવાયું, પણ સફળ ન નિવડયું.

નિષ્ફળતાએ નિરાશા ન આપી પણ કલ્પનાની પાંખોને વ્યાપક બનાવી. તેમણે કલમને બરાબર કસી સામાજીક નાટયકૃતિ સર્જી, જે ‘અરૂણોદય’ના નામે રંગમંચ પર ભજવાઈ. નાટકને અભૂતપૂર્વ સફળતા સાંપડી. કવિની કલમનો કીર્તિ કળશ ઝળહળવા માંડયો. ‘અરૂણોદય’માં પ્રભુલાલભાઈએ ભારતમાં ચાલતા અસહકાર આંદોલનના ભાવોને ઝીલ્યા હતા. જનતાનો જુવાળ (બાયકોટ) અસહકારના સૂત્રને ઝીલીને જંગે ઝઝૂમતો હતો.

‘અરૂણોદય’નો તખ્તા પર ૧૦૦ વખત રાત્રે ઉદય થયો. પ્રત્યેક પ્રેક્ષકના ચિત્તમાં પ્રભુલાલભાઈ છવાઈ ગયા.

નાટક અને કવિતામાં તેમની કલમ સમાન્તર ચાલતી હતી. સંવાદો ચોંટદાર હતા. તેનાં ગીતોના શબ્દો પણ એટલા જ ધારદાર. એ પછી ૧૯૨૩ ના વર્ષમાં તેમણે ‘સત્ય પ્રકાશ’ સામાજીક નાટકનું સર્જન કર્યું.

પુનઃ તેમણે ઐતિહાસિક કથા પર કલમનો કસબ અજમાવ્યો. તેમાંથી નિર્માણ પામ્યું ‘માલવપતિ મુંજ’. આ નાટકે પ્રભુલાલભાઈની ઉજ્જવળ કારકિર્દીમાં અનેક ગણો વધારો કરી દીધો. જનતાને આ નાટકે અજબ મોહિની લગાડી. તે પણ એક્સો પ્રયોગોને પણ વળોટી ગયો. એ સમય આવીને ઉભો રહી ગયો કે નાટક એટલે કવિ પ્રભુલાલ અને કવિ પ્રભુલાલ એટલે નાટક.

તેમની કલમમાંથી ઐતિહાસિક નાટય કૃતિઓ કંડારાતી રહી. જોનારા તેને ઉમળકાભેર આવકારતા રહ્યા. ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું સર્જન કર્યું તે પણ સફળ રહ્યું. ત્યાર પછી બંગાળ બશરના નવાબ ‘સીરાઝ-ઉદ-દઉલા’ની ભેટ ધરી પૂનઃ પ્રભુલાલભાઈએ સામાજીક સમસ્યાને મૂર્તિમંત કરવા કલમ ચલાવી, તેમાંથી ‘સંસાર સાગર’ નીપજયું. વળી પાછાં કવિએ ઇતિહાસનાં પૃષ્ઠો ઉથલાવ્યાં ને ‘શાલીવાહન’ લખાયું, જે નાટકે કવિની કીર્તિમાં ઉમેરો કર્યો. ‘શાલીવાહન’ ની વાહ વાહ સર્વત્ર વિસ્તરી રહી. જનતાના હોઠે શાલીવાહન નિરંતર રમતું રહ્યું. વ્યાપક લોકપ્રિયતાના કારણે હિન્દી રંગભૂમિનું પણ ઘ્યાન દોરાયું. ‘સીતા વનવાસ’ વગેરે રજૂ કરી લોકચાહના પ્રાપ્ત કરનાર માદન થીએટર્સની પારસી નાટક મંડળી ૧૯૩૦ના વર્ષમાં ગુજરાતના પ્રવાસે નીકળી હતી ત્યારે તેમણે ગુજરાતી ‘શાલીવાહન’ નાટકમાં નામનો ફેરફાર કરી ભજવ્યું હતું. અહિં આપણને કવિની કલમના જાદુની જાણકારી આપોઆપ મળી જાય છે.

‘શાલીવાહન’ નાટકે કવિને અવિચળ કીર્તિના અધિકારી બનાવી દીધા.

આ સમયમાં આર્ય નૈતિકના માલીક નકુભાઈ શાહે નવું નાટક લખવાની ફરમાઇશ કરી. કવિએ તેનો સ્વીકાર કરીને સામાજીક નાટ્ય કૃતિનું કુશળતા પૂર્વક સર્જન કર્યું તે ‘એક અબળા’.

ઉપરોકત નાટક સદાને માટે લોક હૃદયમાં રમી રહ્યું. તેની પણ સદી ઉજવાઈ. આમ પ્રભુલાલભાઈનાં ત્રણ નાટકો સો નાઇટો ને આસાનીથી આંબી ગયા તે તેની અપૂર્વ આવડતની સાબીતી આપી રહી.

એક અબળામાં બીહારીની ભૂમિકાએ મોહનલાલાને કલાકાર તરીકેની કીર્તિને ચાર ચાંદ લગાવી દીધા તે પછી ‘માયાનો રંગ’ નાટક લખીને રજુ કરાવ્યું. ‘માયાનો રંગ’માં દેવદત્તના પાત્રની સુંદર કલ્પના કરી હતી, જે તેમણે ટોલ્સટોયની વાર્તામાંથી લીધી હતી. દેવદત્તની ભૂમિકા મૂળજી ખુશાલે કરી કવિની કલ્પના અને પોતાની અભિનય કલાને તદ્રરૂપ કરી દઇને અવિસ્મરણીય બનાવી દીધી હતી.

ઇ.સ. ૧૯૨૮ના વર્ષમાં લક્ષ્મીકાંત દ્વારા ‘માયાનો રંગ’ રજૂ થયા પછી આ સર્જક તે કંપનીમાંથી છૂટા થઇ દેશી નાટક સમાજમાં જોડાયા ત્યાં મૂળચંદ મામાએ ‘સત્તાનો મદ’ નામના નાટકને તેમની પાસે પુનઃ લખાવીને ભજવ્યું. આ નાટકમાં પતંજલીની ભૂમિકા ભગવાનદાસે સફળતાપૂર્વક ભજવી નાટકની સફળતામાં સહયોગ કરેલો.

હવે તેમણે ગુજરાતની ઐતિહાસિક ઘટનાઓ પર નજર નાખી તેમાંથી કથા વસ્તુ ઉચકી ‘અજયધારા’ નામે નાટક લખ્યું. ૧૯૨૯ ના વર્ષમાં તે લખાયુ ને ૩૦ના વર્ષમાં રજૂ થયું. ૩૧ના વર્ષમાં ‘વીર ભૂષણ’ ‘અંશાવતાર’ લખાયા ને રજૂ થયાં.

કેટલાક કારણોને લઇ દેશી નાટક સમાજ કંપની બંધ રહી. પ્રભુલાલ દ્વિવેદીને લક્ષ્મીકાન્તે પૂનઃ પોતાને ત્યાં આવી જવાનું કહેણ મોકલ્યું ત્યાં ‘ચંદ્રગુપ્ત’ લખાયુ અને ભજવાયું. ચંદ્રગુપ્તની ભૂમિકા મા. અશરફખાને તખ્તા પર જીવંત કરી અનહદ લોકચાહના મેળવી.

આ સમય દરમિયાન દેશી નાટક સમાજ ફરી શરૂ થતાં તેમને માટે ‘સાંભરરાજ’ નાટક લખી આપેલો.

લક્ષ્મીકાંત નાટક સમાજના રંગમંચ પર તેમના નાટકો ‘સમરકેસરી રાજારાજ’ ‘યુગપ્રભાવ’ ‘મોહ પ્રતાપ’ ૩૪-૩૫ ના વર્ષમાં રજુ થયા તેને પણ પ્રેક્ષકોએ પ્રેમથી વધાવ્યા. ‘અક્ષયરાજ’ ૩૮માં રજુ કરી કવિ દેશી નાટક સમાજમાં જોડાયા ને સફળતા શિખર સર કરનારૂ નાટક ‘વડીલોના વાંકે’ અને તે પછી ‘સંપત્તિ માટે’ નાટક રજુ કરીને રંગભૂમિની દુનિયામાં ડંકો વગાડી દીધેલો.

રંગભૂમિ પર તેમના નાટકોની વણ થંભી વણજાર ચાલી રહી. ૧૯૪૨ માં તેમનો વનપ્રવેશ ઉજવાયો તે વખતે ચં. ચી. મહેતાના હસ્તે તેમને માનપત્ર અપાયેલું તે પછી પણ તખ્તા પર એમનો સુરજ તપતો રહેલો. ત્રણ કલાકમાં પુરા ભજવી શકાય તેવા નાટકો લખવા શરૂ કર્યા. તેના પરિપાક રૂપે ‘ગાડાનો બેલ’ ‘સામે પાર’, ‘શંભુ મેળો’ મળ્યા.

૧૯૫૧માં તેમની ષષ્ઠીપૂર્તિ ઉજવાઇ અને તેમને રૂ. ૩૧ હજારની થેલી અર્પણ થઇ.

નાટ્ય જગતના સમ્રાટ નાટ્ય લેખક અને કવિ પ્રભુલાલ દયારામ દ્વિવેદી અજોડ કલમ કસબી રહ્યા. તેઓનું તા. ૩૧ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ મુંબઇમાં નિધન થયેલું.

Thanks to:gurjardesh.com

Posted in Uncategorized | Leave a comment

વડીલોના વાંકે-મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

મિત્રો ,

આ ગીત  સંભાળતા  કે વાચતા  પહેલા સુરેશભાઈ દલાલની આ ગીત વિષે ની  કહેલી વાત જરૂર વાંચજો .. અને પછી આ ગીત માણવાનો આનંદ કૈક  જુદો જ હશે ..

નાટયકારની કવિતાની વાત આવે ત્યારે સહેજે પ્રભુલાલ દ્વિવેદી કે રઘુનાથ બ્રહ્મભટ્ટ ઈત્યાદિ કવિઓ યાદ આવ્યા વિના ન રહે. નાનો હતો ત્યારથી દેશી નાટક સમાજનાં અનેક નાટકો જોયાં હતાં. મોટે ભાગે દેશી નાટકો, એટલે પ્રભુલાલ દ્વિવેદીનાં નાટકો. ભાંગવાડીના નાટકનો કેફ કંઈક જુદો હતો. એ નાટકો મને ગમતાં. બોલાતી ગુજરાતી ભાષાને કારણે આ બધું ગમતું હશે. કોઈ પણ નવો શબ્દો કાને પડે તો જાણે વીજળીનો ધબકારો થાય. મને બોલાતી ભાષાનો કોઈ જુદો જ અનુભવ થતો. ‘’ નાટક મેં અનેકવાર જોયું હશે. બધી જ સમજ ન પડે પણ ઘણું બધું ગમતું.

મોટે ભાગે આ નાટકો મારા મોટા ભાઈ અરવિંદ સાથે જોતો. અરવિંદ મારા પ્રેમને કારણે આવતો પણ એને નાટકમાં અમુક હદથી વિશેષ રસ નહીં. મને તો નાટકનો ત્રીજો અંક શરૂ થાય ત્યારે એક બેચેની થાય કે આંખ સામે ઊભેલી આ સૃષ્ટિ શું સમાપ્ત થશે? પડદો ઊઘડે ત્યારે ધડાકા સાથે જે થિ્રલ થતી તે આજે પણ અનુભવું છું. મોતીબાઈ અને માસ્ટર કાસમના સંવાદો હજીયે યાદ છે. પછી તો ‘સંપત્તિ માટે,’ ‘શંભુમેળો,’ ‘ગાડાનો બેલ…’ એવાં તો કેટલાયે નાટકો જોયાં છે. કોલેજમાં હતો ત્યારે બને એટલાં નાટકો વાંચતો.

નાટયકાર પ્રભુલાલ દ્વિવેદીનું આ ગીત મારું પ્રિય ગીત છે. માત્ર મારું શું કામ, આ ગીતનું કામણ રંગભૂમિના દરેક રસિક હૃદય પર છવાયેલું છે. ઉજાગરાનો પણ આનંદ છે. આ ઉજાગરાનો પણ એક સ્વાદ છે. એટલે તો એને મીઠો કહે છે. પ્રિય વ્યકિત માટે પ્રતીક્ષા કરવી એનો પણ એક આનંદ છે. આ આનંદની લહેરનું ગીત છે. અલબેલા કાજે ઉજાગરાનું ગીત છે. પ્રિય વ્યકિત આવશે ત્યારે ઉજાગરાનું જાગરણમાં રૂપાંતર થશે. આવશે એની શ્રદ્ધા છે. પગલે પગલે પ્રિય વ્યકિતના ભણકારા વાગે છે અને છતાંયે અતિ સ્નેહ પાપ શંકી એમ હૃદયમાં અમથો પણ ઉચાટ થાય છે. નીંદર સાથે હોડ માંડીને બેઠી, કાં તો હું નહીં કાં તો નીંદર નહીં. જે હીંડોળાખાટ મને વહાલી લાગતી હતી એ વસમી લાગે છે.

પછીની પંકિતઓ કવિતાની પરાકાષ્ઠા છે. પ્રભુલાલ કહે છે કે ધેરાતી આંખને એ સોગન આપે છે. આ આંખને સોગન આપવાની વાત કોઈ ઉત્તમ કવિ જ કહી શકે. આંખને મટકું મારવાની મના કરી દીધી છે. પ્રિય વ્યકિત આવે ત્યારની વાત છે. પણ આ તો ઉજાગરો જાગરણ થઈને ખુદ આત્માને જગાડે છે. પ્રિય વ્યકિતની પ્રતીક્ષા કરું છું ત્યારે ગંગાના ઘાટ પર ઊભી હોઉ છું એવી પ્રતીતિ નાયિકાને થાય છે અને એટલે જ એ ઉજાગરો ગમી જાય છે. પ્રભુલાલના પુત્ર વિનયકાંતે ‘મીઠા ઉજાગરા’ નામના પુસ્તકનું સંપાદન-સંકલન અને આલેખન કર્યું છે. એમણે લખ્યું છે તે અહીં મૂકું છું.

પ્રભુલાલભાઈએ ૧૯૩૮માં ‘વડીલોના વાંકે’ નાટક લખ્યું. એનું નામ પ્રથમ તો ‘અણગમતાં’ અપાયેલું. પછીથી ‘વડીલોના વાંકે’ શીર્ષક અપાયું, જેમાં ખૂબ જ ભણેલ આધુનિક પતિ અને ગામડાંની ગોરી-ગમાર પણ કોઠાસૂઝવાળી પત્નીનો સંસાર ચિતરાયો છે. પતિ કોઈ લોકહિતના કામસર મોડી રાત સુધી ઘરે નથી આવ્યો. રાહ જોતાં જોતાં પરોઢ થઈ ગયું છે. તે પ્રસંગે અભણ મુગ્ધા નારી-પોતાના મનોભાવ રજૂ કરે છે. ગીત પહેલાંનો સંવાદ છે-સમતાના મુખે ‘જીવતરમાં અમથા ઉજાગરા તો ઘણાય થીયા હશે, પણ વ્હાલાની વાટ જોતાં હોઈએ અને પગલે પગલે આવવાના ભણકારા વાગતા હોય એવો ઉજાગરો તો આજ થયો.’

આભાર: દિવ્ય ભાસ્કર

મીઠા લાગ્યા તે મને

	મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા
	જોતી’તી વ્હાલાની વાટ રે...
	અલબેલા કાજે ઉજાગરો

	પગલે પગલે એના ભણકારા વાગતા
	અંતરમાં અમથા ઉચાટ રે...
	અલબેલા કાજે ઉજાગરો

	બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
	વેરણ હીંડોળાખાટ રે...
	અલબેલા કાજે ઉજાગરો

	ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં
	મટકું માર્યું તો તારી વાત રે...
	અલબેલા કાજે ઉજાગરો

	આજના તો જાગરણે આતમા જગાડ્યો
	જાણે ઊભી હું ગંગાને ઘાટ રે...
	અલબેલા કાજે ઉજાગરો

	મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા

સ્વરઃ મોતીબાઈ
રચનાઃ શ્રી પ્રભુલાલ દ્વિવેદી
નાટક અને ચિત્રપટઃ
વડીલોના વાંકે (૧૯૪૮)
 
.આભાર;માવજીભાઈ
ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ
http://mavjibhai.com/MadhurGeeto/104_Mithalagya.htm
..
...http://www.mavjibhai.com/MadhurGeeto/Mithalagya.htmm
Posted in Uncategorized | Tagged , , , | 2 ટિપ્પણીઓ

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.

પ્રભુલાલ દ્વિવેદી (1882-1962)નું સને 1924માં”શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે’ ને પડદે રજૂ થયેલું આ ‘માલવપતિ મુંજ’ નાટક એક  નટને  ચમકાવી ગયું….આ નટ તે અશરફખાન. ‘માલવપતિ મુંજ’ નો એમનો અભિનય અને એમના દર્દીલા ઘૂંટાયેલા ગળેથી નીપજેલાં નીચેનાં ગીતો આજેય અવિસ્મરણીય રહ્યાં છે :પેશાવારના કલાકાર માસ્ટર અસરફ ખાં ના મુખે ગવાયેલું નાટક માલવપતિ મૂંજ નું આ ગીત આજે તો કહેવત બની ચુક્યું છે.અને હા આ ગીત સાંભળીને કનૈયાલાલની પ્રખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’નું છેલ્લું પ્રકરણ ‘પૃથિવીવલ્લભ કેમ ખંચાયો’ યાદ આવ્યા વગર ના રહે. અને મૂંજને પ્રખ્યાત શ્લોક કાનમાં ગૂંજી ઉઠે’લક્ષ્મી ધનવાનો પાસે જશે, શક્તિ વીરોમાં સમાશે, પણ મૂંજના જવાથી સરસ્વતી નિરાધાર બનશે ‘ (गतः मूंजे यशःपूंजे निरालंबा सरस्वती॥)

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી;
એથી જ શાણા સાહ્યબી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી;
એ જ શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી.

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
તરી જાવું બહુ સહેલું છે મુશકીલ ડૂબવું જેમાં
એ નિર્મળ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછા છે.

ફિલ્મ – માલવપતિ મૂંજ
ગીત – પ્રભુલાલ દ્વિવેદી
સ્વર – મન્ના ડે
સંગીત – અવિનાશ વ્યાસ

સૌજન્ય :ReadGujarati ,

ગીત સાંભળવા પર કિલક કરો

http://www.krutesh.info/2010_10_01_archive.html#axzz1E3Lh2nKl


Posted in Uncategorized | Tagged , , | Leave a comment

વડીલોના વાંકે (૧૯૩૮)-સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ 

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ
માનવ માત્ર અધૂરા

સદગુણ જુએ છે શાણાને
અવગુણ અપાત્ર અધૂરા

કોઈને રચનારે રૂપ દીધા
કોઈને દીધા અભિમાન

કોઈ ધનઘેલા કોઈ રસઘેલા
કોઈને દીધા છે જ્ઞાન

સઘળું નવ સાથ દીધું કોઈને
એ ભૂલે પાત્ર અધૂરા



સ્વરઃ માસ્ટર કાસમ અને મોતીબાઈ
ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી 
નાટકઃ વડીલોના વાંકે (૧૯૩૮)




ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ.http://www.mavjibhai.com/madhurGeeto_two/sampoornjagat.htm.

Posted in Uncategorized | Leave a comment

સુરેશ દલાલ ના સંભારણા

વર્ષો પહેલાં મુંબઈમાં મોટે ભાગે નાટક અને સિનેમા – માત્ર આ બે મનોરંજનનાં સાધનો હતાં. જ્યારે હું નાનો હતો ત્યારે કોઈ અવેતન રંગભૂમિ હતી નહીં, પણ જૂની રંગભૂમિની બોલબાલા હતી. કાલબાદેવી પર ભાંગવાડીમાં દેશી નાટક સમાજનું એક વિશિષ્ટ સ્થાન હતું. દેશી નાટક સમાજ એટલે પ્રભુલાલ દ્વિવેદી, માસ્ટર કાસમભાઈ, મોતીબાઈ અને કંપનીનાં માલિક ઉત્તમલક્ષ્મીબહેન. કોણ જાણે કેમ પણ મને નાટકો જોવાં ગમતાં. નાટકોના સંવાદ અને ગીતો યાદ રહી જતાં. એ નાટકોને આજે યાદ કરીએ તો એમાં બોધતત્વ લાગે, પણ એ નાટકો કરોડરજ્જુ વિનાનાં નહોતાં. એમાં વિષયવસ્તુ તો હોય જ. પ્રહસન વિભાગ પણ હોય અને એ વિભાગમાં છગન રોમિયોના સિક્કા પડતા. ‘સંપત્તિ માટે’ નાટકનું એક દશ્ય હજી યાદ છે.

 સૌજન્ય;readgujarati.com
Posted in Uncategorized | Leave a comment